ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય, (જે "ગીરનું જંગલ" કે "સાસણ-ગીર" તરીકે પણ ઓળખાય છે) તે ગુજરાતમાં
આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરાયેલ, તે
કુલ ૧૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧૧૫૩ ચો.કી.મી.
અભયારણ્ય) ના વિસ્તારમાં ફેલાયેલ છે આ ઉપરાંત પાણીયા અને મિતિયાળા અભયારણ્ય
પણ ગિરના જ ભાગ ગણવામાં આવે છે જેનો આ આંકડામાં સમાવેશ કરેલો નથી[૧]. આ ઉદ્યાન વેરાવળથી લગભગ ૪૩ કી.મી. ઉત્તર-પૂર્વમાં આવેલું છે.
આ એશિયાઇ સિંહો (Panthera leo persica)નું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાનાં અતિમહત્વનાં રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. ગીરનું જીવપરિસ્થિતિક તંત્ર તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે, સરકારી વન વિભાગ, વન્યજીવન
કાર્યકર્તાઓ અને સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા
રક્ષાયેલું છે. જુનાગઢના નવાબ દ્વારા,સને ૧૯૦૦ની શરૂઆતથી,ગીરનો જંગલ વિસ્તાર અને તેનાં સિંહોને
"રક્ષિત" જાહેર કરાયેલા. આ પહેલ સિંહોનાં રક્ષણમાં ખુબ મદદરૂપ બની કે જેની
વસ્તી શિકારની પ્રવૃતીને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલી જ રહી ગઇ હતી.