November 5, 2016

ગામ

ગુજરાતના આ ગામમાં થતી હતી મોરના ટહુકાથી સવાર, હવે બન્યું મોર વિહોણું
************************************************************************************
‘મન મોર બની થનગટ કરે...’ આ પંક્તિ અને ગીત સાંભળીને લોકો અનેકવાર ઝૂમી ઉઠે છે પરંતુ કયારેય નજર સમક્ષ એકસાથે 1500 મોર થનગનાટ કરતા જોવા મળે તેવી કલ્પના ક્યારે નહી કરી હોય. આ પ્રકારનો નજારો માણવા લોકો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલા સેંગપુર ગામની મુલાકાત અવશ્ય લેતા હતા. આ ગામમાં મોરના ટોળે ટોળાને બારેમાસ જોવા મ‌ળતા હતા. આ ગામમાં 450 પરિવાર વસવાટ કરે છે અને આ ગામના દરેક ઘર આંગણે અને ફળીયા મોરની કળાઓથી ખીલતા હતા. જો કે હજુ પણ મોરના ટહુકાથી આ ગામની સવાર થતી હોય છે.

એક સમય એવો હતો કે આ ગામના બાળકો મિત્રની જેમ મોર સાથે રમતા હતા પરંતુ હાલ સમય જતા આ ગામમાં મોરની સંખ્યા ઘટી છે. જેના કારણે આ ગામના ઘર આંગણા મોર વિહોણાં બન્યા. આ ગામના લોકો પણ મોરને જોવા માટે વનવગડામાં જવું પડે છે. ગ્રામવાસીઓના જણાવ્યા પ્રમાણે એક સમયે આ નાનકડા ગામમાં 1500 થી 2000 મોર વસવાટ કરતા હતા અને આ ગામની સવાર મોરના ટહુકાથી થતી હતી. અહીંયા લોકોના હાથમાંથી મોર દાણા ચણતા અને તેમની સાથે પરિવારના સભ્યની જેમ રહેતા હતા. પરંતુ રાષ્ટ્રીય પક્ષી હાલ ગ્રામજનો માટે સ્મરણિકા સમા બની ગયા છે અને હાલ તેઓની સંખ્યા 150 થી 200ની થઇ ગઇ છે અને તે પણ વનવગડામાં છૂટા છવાયા જોવા મળી રહ્યા છે.

આ ગામમાં મોરને ગ્રામજનોથી કોઇ ભય ન હતો અને ગ્રામવાસીઓ પણ મોરને કોઇ હાનિ પહોંચાડતા ન હતા. એક સમયે 1500 મોરની વસ્તી ધરાવતા આ સેંગપુર ગામમાં એક પરિવાર દીઠ એક મોર જોવા મળી રહ્યા હતા. આ ગામમાં વહેલી સવારથી પોતાનાં રોજબરોજના કામે જતાં ગ્રામવાસીઓ મોરની સારસંભાળમાં રાખવામાં થોડી પણ બેદરકારી કરતા નથી અને મોરને કોઇપણ પ્રકારનું નુકશાન ન થાય તે માટે ગામમાં શ્વાન પાળવાનું પણ લોક ટાળે છે. ઉપરાંત ખેડૂતો ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે પણ અનેકવાર વિચાર કરીને નિર્ણય લઇ રહ્યાં છે. ગ્રામજનોએ મોર માટે સુવિધાજનક અને સાનુકુળ વાતાવરણ જરૂર વિકસાવ્યું પરંતુ તંત્રની ઉદાસીનતા આગળ ગ્રામજનોએ પોતાનાં સ્વજન સમા મોરને ગુમાવવાનો વારો આવી રહ્યો છે.
દેશના રાષ્ટ્રીય પક્ષીની જાળવણી એ સર્વેની નૈતિક જવાબદારી

આ ગામે મોરની ઘટતી સંખ્યા સામે ચિંતા વ્યક્ત કરતા પક્ષી પ્રેમી લોકોનું કહેવું છે કે વગડામાં કે જંગલમાં જે મોર હોય છે તે માનવ વસ્તીમાં ભળતા નથી પરંતુ સેંગપુરનાં મોર આજે પણ ગ્રામજનોના હાથમાંથી દાણા ચણીને ખાય છે. સેંગપુરમાં મોરની સંખ્યા ઘટવા પાછળ ગ્રામજનોએ વધતા ઔદ્યોગિક પ્રદૂષણને જવાબદાર ગણાવી રહ્યા છે. કારણ કે આ ગામની નજીક વહેતી અમરાવતી ખાડીમાં ઉદ્યોગોના પ્રદૂષિત પાણી ભળવાથી અનેક વખત જળચર જીવો મોતને ભેટ્યાં હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યો છે અને આ જ ખાડીનું પાણી મોર માટે જીવલેણ બન્યું હોવાનું કહેવાય છે. દેશના રાષ્ટ્રીય પક્ષીની જાળવણી એ સર્વેની નૈતિક જવાબદારી છે. રાષ્ટ્રીય ધરોહર સમાન આવા પક્ષીઓ ફરીથી ગામમાં હરતા થાય તે માટે ઉદ્યોગ જગત સરકાર સહિતના જવાબદાર તમામ તંત્ર જાગૃત બને એ જરૂરી છે.
પ્રદૂષિત પાણીથી મોરના અસ્તિત્વ પર ખતરો

એક સમય હતો જ્યારે સેંગપુર ગામમાં ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલા મોર પરિવારના સભ્યની જેમ ગ્રામજનો સાથે રહેતા હતા. પરંતુ હાલની પરિસ્થતી પ્રમાણે આ વિસ્તારની નજીક ઉદ્યોગો સ્થપાતા તેમજ કંપનીઓમાંથી કેમીકલયુકત પાણી પીવાથી મોરના જીવન પર થતી અસરને કારણે તેમની સંખ્યા હાલ ઘટીને ૧૫૦ થી ૨૦૦ થઈ ગઈ છે. આ મુદ્દે સરપંચ તથા ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ એક ગંભીર બાબાત છે અને આ મુદ્દે કડક પગલા લેવામાં આવશે.
મોરની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો - ચિંતાજનક

આ ગામના માજી સરપંચએ જણાવ્યું હતું કે એક સમયે ગામમાં મોરોની સંખ્યા ભરપુર હતી. આ સેંગપુર ગામમાં એક પરિવાર દીઠ એક મોર જોવા મળતા હતા અને મોરના ટહુકાથી ગામમાં ગ્રામજનોની સવાર પડતી હતી. પરંતુ સમય જતા મોરની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જે બાબત ચિંતાજનક છે.
http://www.divyabhaskar.co.in/news/GUJ-GNG-wanting-peacock-in-sengpur-village-gujarat-gujarati-news-5444307-PHO.html?seq=5